રાજકારણ@ગુજરાત: મોદી મંત્રીમંડળમાં ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી, 6ને મળ્યું સ્થાન, 2નાં પત્તા કપાયા

 
મંત્રી મંડળ
મનસુખ માંડવિયા સતત બીજી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવી શક્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકાર 3.0માં ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ગત વખતની સરખામણીમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મહત્વની વાત એછેકે, રાજ્યસભાના સભ્ય એસ.જયશંકર અને જે.પી.નડ્ડાને મંત્રીપદે સ્થાન મળતાં મોદી મંત્રીમંડળમાં મૂળ ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી છે. મંત્રીમંડળમાં ગુજરાતમાંથી બે નવા ચહેરાનો તક અપાઇ છે જયારે બે પૂર્વ મંત્રીઓના પત્તા કપાયાં છે.મોદી કેબિનેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટયુ હોવાનું તારણ છે. ગત વખતે મોદી મંત્રીમંડળમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, પરષોત્તમ રુપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અન ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાત સાતેક સાંસદોને મંત્રીપદ મળ્યુ હતું.

આ વખતે લોકસભામાં ચોંકાવનારાં પરિણામે આવ્યા હતાં જેના કારણે ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં આવી હતી જેના કારણે મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદો ઘટયા હતાં.જયારે મોદી સરકાર ૩.૦માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ સાંસદોને મંત્રીપદે સ્થાન મળ્યુ છે જેમાં અમિત શાહ,મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, સી.આર પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. અમિત શાહ,એસ જયશંકર અને મનસુખ માંડવિયાને સતત બીજી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવી શક્યા છે.

ગત વખતે મોદીમંત્રીમંડળમાં દર્શના જરદોશને સ્થાન મળ્યુ હતું જયારે આ વખતે નીમુબહેન બાંભણિયાને તક મળી છે. ટૂંકમાં ગુજરાતમાંથી એક મહિલા સાંસદે મંત્રીપદ જાળવી રાખ્યુ છે. ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને, સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા-નીમુબેન બાંભણિયાને સ્થાન અપાયુ છે. દક્ષિણ ગુજરાતમાંથી સી.આર.પાટીલને તક અપાઇ છે. મધ્ય ગુજરાતમાંથી આ વખતે કોઇને સ્થાન અપાયુ નથી.નવા મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી પુરષોત્તમ રુપાલા અને દેવુસિંહ ચૌેહાણનુ પત્તુ કપાયુ છે. જયારે બે નવા ચહેરાને તક અપાઇ છે જેમાં સી.આર. પાટીલ અને નિમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે.