રાજકારણ@ગુજરાત: પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું

 
શક્તિસિંહ ગોહિલ
તેમણે કહ્યું, 'આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 'હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવ ગાંધી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.' વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17 હજાર 554 જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 39 હજાર 452 મતોના માર્જિનથી પેટાચૂંટણી જીતી.