મહેસાણામાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે ભાજપે ખેલ પાડ્યોઃ ઊંઝા ધારાસભ્ય બનશે સાંસદ?
અટલ સમાચાર, મહેસાણા
રાહુલ ગાંધી આગામી 15 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ગતિવિધિ વચ્ચે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. સંગઠનનું કારણ આપી કોંગ્રેસના ઊંઝા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. ઊંઝા ભાજપમાં નારાયણકાકાનો રાજકીય ઈતિહાસ પૂર્ણ કરી આશાબેન પટેલનો ઉદય કરવાની ચાલ છે. લોકસભાની ઓફર હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પ્રદેશ કોંગ્રેસ સાથે રાજીખુશીથી ચર્ચા કર્યાના ગણતરીના કલાકોમાં રાજીનામું આપ્યું છે. રાજીનામાના પત્રમાં સંગઠનમાં નારાજગી સાથે-સાથે રાહુલ ગાંધીને નિષ્ફળ ગણાવી વડાપ્રધાનના વખાણ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આશાબેન પટેલના એકદમ નિકટના આગેવાન ઊંઝા ગંજબજારની ચુંટણીમાં ચેરમેન પદની રેસમાં છે. આથી ભાજપે રાહુલ ગાંધી મહેસાણા જિલ્લા આવે તે અગાઉ મોટો રાજકીય ખેલ પાડી દીધો છે.
ઊંઝા ભાજપમાં નારણકાકા અને ગાૈરાંગ પટેલ સામે નવીન રાજકીય ચહેરાની છેલ્લા કેટલાક સમયથી શોધ ચાલતી હતી. આથી ભાજપે ઊંઝા ગંજબજારની ચુંટણીમાં આશાબેનના નિકટના પાટીદારને ચેરમેન બનાવવા સહયોગ કરવા સામે ભાજપમાં સ્વીકારવાની ગણતરી રાખી છે. સંગઠનમાં નાની-મોટી નારાજગી અંગે ધારાસભ્ય પદ છોડવાની નોબત લગભગ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. આથી આશાબેન પટેલને ભાજપ આગામી લોકસભા ચુંટણીમાં ટિકિટ આપી મતવિસ્તારમાં લોકપ્રિયતા ગુમાવી ચુકેલા જયશ્રીબેન પટેલને સાઈડલાઈન કરી શકે છે.
લોકસભા ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ઉત્તર ગુજરાતમાં સાૈથી વધુ મતદારો ધરાવતા પાટીદાર અને ઓબીસી વર્ગમાં પોતાનો જનાધાર ઉભો કરવા ભાજપ મથામણ કરે છે. આથી કોંગ્રેસ સંગઠનમાં નારાજગીનુ કારણ બતાવી ભાજપ આર્થિક રીતે અધ્ધર હોય તેવા અને સ્થાનિક વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા આગેવાનોને કોંગ્રેસમાંથી ખેંચવા પ્રયત્નશીલ છે.
રાહુલ નિષ્ફળ, વડાપ્રધાન સફળઃ આશાબેન પટેલ
આશાબેન પટેલના પત્રમાં રાહુલ ગાંધીને નિષ્ફળ તેમજ કોંગ્રેસ સમાજમાં વેરઝેર વધારવાનું કામ કરતી હોવા સાથે-સાથે 10 ટકા અનામત આપનાર વડાપ્રધાનને સફળ ગણાવ્યા છે. આથી સ્પષ્ટ છે કે આગામી ટૂંક સમયમાં આશાબેન ભાજપમાં જશે.