સમસ્યા@વાવ: ઢેરીયાણામાં ભરાયા વરસાદી પાણી, ગ્રામજનો પરેશાન
અટલ સમાચાર, વાવ
છેલ્લા બે દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા હતા. જેને લઇ હાઇવે, સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વાવના ઢેરીયાણામાં પણ વરસાદી પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા ન હોવાથી આ સમસ્યા સર્જાય છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામમાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઢેરીયાણામાં ચોમાસાના બીજા રાઉન્ડમાં આવેલા વરસાદથી ગામમાં પાણી ભરાયા હતા. જોકે હજી એ પાણીનો નિકાલ થયો નહોતો એની પહેલા વિતેલા બે દિવસોમાં આવેલા વરસાદથી ફરી પાણી ભરાઇ ગયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાં વરસાદથી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી વારંવાર આ સમસ્યા સર્જાય છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઢેરીયામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. વરસાદથી પાણી ભરાઇ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આ બાબતે કોઇ નક્કર પગલા નહી લેવાતા વારંવાર પાણી ભરાઇ રહે છે.