કાર્યવાહી@કાંકરેજ: લોકડાઉનમાં ખાતરનું કાળાબજાર કરતા વેપારી સામે ફરીયાદ
અટલ સમાચાર, શિહોરી
કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિમાં કાંકરેજ તાલુકાના ગામે ખાતરનું કાળાબજાર કરતો વેપારી ઝડપાયો છે. પોલીસે બાતમી આધારે ગામમાં તપાસ કરતા પાસ પરમીટ વગર ખાતરનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ હતુ. આ સાથે હાલમાં કોરોના વાયરસના ભય વચ્ચ લોકોની ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરતો હતો. પોલીસે તપાસ કરતા વેપારી યુરીયા ખાતરની એક બેગ દીઠ રૂ.44 વધુ લેતો હોવાનું સામે આવતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે યુરિયા ખાતરનું કાળાબજાર કરતો વેપારી ઝડપાયો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો પોતાના ઘરમાં જ બંધ છે. આ દરમ્યાન ખેડૂતો ખેતી માટે યુરીયા ખાતર લેવા જતા વેપારીએ એક બેગ દીઠ રૂ.44 વધુ માંગ્યા હતા. જેને લઇ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસે પંચો સાથે તપાસ કરી હતી. જેમાં વેપારી એક બેગના રૂ.266.50પૈસાની જગ્યાએ રૂ.310 લેતો હોવાનું પકડાયુ હતુ.
સમગ્ર મામલે શિહોરી પોલીસે વેપારી સામે જાહેરનામા ભંગ, રાસાયણિક ખાતર(નિયંત્રણ) હુકમ 1985ના ખંડ 7ની જોગવાઓનો ભંગ કરી આવશ્યક ચીજવસ્તુ ધારા 1955ની કલમ 7(1)(એ)(II) તથા ઇ.પી.કો. કલમ 188,269 મુજબ તથા ગુજરાત એસેન્સીઅલ આર્ટીકલ ડિલર્સ (રેગ્યુલેશન) ઓર્ડર એક્ટ કલમ-4,5 મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.