કાર્યવાહી@અમદાવાદ: લોકડાઉનમાં શાકભાજીની લારી ઉંધી કરી, અંતે PI સસ્પેન્ડ
અટલ સમાચાર,ડેસ્ક
લૉકડાઉનમાં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે. લોકોને નિયમોનો ચુસ્ત અમલ પણ કરાવી જ રહી છે. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને જમવાથી માંડી અનેક સેવાઓ પૂરી પાડી રહી છે. પણ આ સેવાઓ પર પોલીસખાતાના એક જ અધિકારીએ પાણી ફેરવી દીધું છે! કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વિષ્ણુ ચૌધરીએ શાકભાજી લારી વાળાઓએ નિયમો ન પાળતા દંડાવાળી કરી લારીઓ ઊંઘી વાળી દીધી હતી. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા બાદ પીઆઈને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કૃષ્ણનગરના ઉત્તમનગર કેનાલ પાસે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. લોકો લૉકડાઉનને લઈને ઘરમાં જ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ સમયે શાકભાજીની લારીઓ ઉભી હતી. અગાઉ અનેકવાર થોડી જગ્યા રાખીને ઉભા રહેવાનું કહ્યું હોવા છતાંય આ લોકો નજીકમાં ઉભા હતા. સૂચનાઓનું પાલન ન કરતા આ શાકભાજીની લારીઓ પર પોલીસે દંડા પછાડયા હતાં. પોલીસે લારીવાળાઓને દોડાવીને ત્યાંથી ભગાડી મૂક્યા હતા. આટલે સુધી ઠીક હતું પરંતુ પોલીસે ત્યારે બાદ શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા પર જ ઉંધી વાળી દઈને આતંક મચાવ્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ ફ્લેટમાં બાલ્કનીમાંથી આ ઘટના કેમેરામાં કંડારી લીધી હતી.
આ અંગે પીઆઇ વિષ્ણુ ચૌધરીનું કહેવું છે કે, “શાકભાજીની લારી ઉભી રાખવા માટે પોલીસે સફેદ રંગના બોક્સ તૈયાર કરાવ્યા હતા. પરંતુ લોકો એક મીટરના અંતરે ઉભા રહેતા ન હતા. સાંજના સમયે પેટ્રોલિંગ દરમિયાન ટોળામાં એકઠા ન થવા જણાવ્યું હતું. લારીઓ ઊંઘી વાળી દેવાનો કોઈ ઈરાદો ન હતા. પરંતુ ગેરસમજનો ફાયદો ઉઠાવીને અન્ય લોકોએ વીડિયો વાયરલ કર્યો છે. વારંવાર શાકભાજીની લારીઓ ભેગી થતા કાર્યવાહી કરી છે.”
આ અંગે પોતાના બચાવ માટે કૃષ્ણનગર પોલીસે પણ આ વાત નું દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસ ખતરનાક છે. જે ક્યારે કોને ફેલાય તે ખબર નથી. પરંતુ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે. આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇ સામે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.