ઘટના@અમદાવાદ: અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી, લોકોમાં રોષ

 
વિરોધ
લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરના લઇને આપેલા નિવેદનને લઇને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની પ્રતિમાનો ખંડીત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે. વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.