વિરોધ@અમદાવાદ: ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે NSUIના કાર્યકરોનો ભારે હંગામો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે (6 ડિસેમ્બર) પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરાઈ છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદથી જતી 37 અને આવતી 35 ફ્લાઇટ એમ કુલ 72 ફ્લાઇટ કેન્સલ થઈ છે, ત્યારે ફ્લાઈટ રદ અને મોડું થવાના મામલે અમદાવાદ એરપોર્ટ પર 20થી વધુ NSUI-યૂથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.
દેશભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ અને મોડી પડવાના કારણે અનેક મુસાફરો અટવાયા છે. ગુજરાતમાં પણ મોટા સિટીના એરપોર્ટ પર ફ્લાઈટ કેન્સલ અને મોડું થવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર છે. આજે બપોરના 1 વાગ્યાની આસપાસ મુસાફરોને પડતી હાલાકીને લઈને અમદાવાદ એરપોર્ટ પર NSUIના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો. ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા મોડી પડી છે, જેના કારણે એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે.

