વિરોધ@દેશ: 15 લાખ કેમિસ્ટ આજે હડતાળ પર ઉતર્યા, સરકાર સમક્ષ ત્રણ માંગણીઓ

 
વિરોધ
સમગ્ર ગુજરાતમાં હડતાલની વ્યાપક અસર

અટલ સમાચાર ડોટ કોમ, 

ઓનલાઇન  ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં 'ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ' દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે. દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ જોડાશે. કેમિસ્ટનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે.સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં ₹150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હોવાથી સરકાર આ અંગે કડક કાયદો ઘડે તેવી મુખ્ય માંગ છે. AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે.

આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ છે:

1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.

2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન (જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.

3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.

ગુજરાતમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે અગાઉ અપાયેલા અલ્ટિમેટમ બાદ અમદાવાદ અને રાજ્યભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે. 'ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન'ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સના શટર અંધ રહેશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

- હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં દવાખાનાઓ કે હોસ્પિટલ પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે.

- ગામડાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા: જે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો કે દવાખાના નથી, ત્યાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે.

- સરકારી કેન્દ્રો ખુલ્લા રહેશે: દેશભરમાં તમામ 'પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો' પર દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.