વિરોધ@ગાંધીનગર: આશા વર્કરોએ ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે સત્યાગ્રહ છાવણી ગજવી, 100થી વધુની અટકાયત

 
વિરોધ
બહેનોનો સૌથી મોટો આક્રોશ સરકારી મોબાઈલ ફોનને લઈને છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યની પાયાની સેવાઓ સંભાળતી આશાવર્કર અને આંગણવાડીની 1.40 લાખ બહેનો ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતરી છે. પડતર પ્રશ્નો અને ખાસ કરીને ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે બહેનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ગજવી હતી. આ પ્રદર્શન દરમિયાન આગેવાન ચંદ્રિકા સોલંકી સહિત આશરે 100 જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.આંગણવાડી બહેનોનો સૌથી મોટો આક્રોશ સરકારી મોબાઈલ ફોનને લઈને છે. વર્ષ 2022માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. જૂના મોબાઈલ ચાલતા નથી અને એપ્લિકેશન નબળી હોવાથી ડેટા એન્ટ્રી કરવી મુશ્કેલ બની છે.

ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક નથી, પરિણામે બહેનો બાળકોને પોષણ આપવાને બદલે આખો દિવસ ડેટા એન્ટ્રીમાં જ વ્યસ્ત રહે છે. નાછૂટકે બહેનો પોતાના ખાનગી મોબાઈલથી સરકારી કામ કરવા મજબૂર છે. જેના વિરોધમાં હવે 80% બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.બહેનોનો આરોપ છે કે, સરકાર હાઈકોર્ટના આદેશોની પણ અવગણના કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં કોઈ નોંધપાત્ર વધારો કરાયો નથી. ચાર-ચાર બજેટ પસાર થયા હોવા છતાં, છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી. 2022માં પાંચ મંત્રીઓએ પગાર વધારાનું આશ્વાસન આપ્યું હતું, જે ચાર વર્ષ પછી પણ અમલમાં આવ્યું નથી. સરકાર તેમની 12 મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં વિલંબ કરશે, તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ શકે છે.