વિરોધ@ગુજરાત: આજે 1111 ટ્રેક્ટર રેલી કાઢીને કોંગ્રેસ દ્વારા દેખાવો, ગેનીબહેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર રેલી કાઢીને સાથે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. કોંગ્રેસે જણાવ્યાનુસાર, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રરીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે.
ટ્રેક્ટર રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે જમાવ્યું હતું કે, 'સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે.સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે 'બંધારણમાં આપણને કોઈપણ વ્યક્તિને, કોઈપણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ખેડૂતોની જે માંગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા બંધારણીય અધિકાર છે. પરંતુ અધિકારોનું ક્યાંકને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે. લાંબા સમય સુધી ખેડૂતો અને તમામ લોકો સાથે અન્યાય થાય છે તેને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળ વાળી થવામાં હવે વાર નથી.
ભારતમાં કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો નથી થતા. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓ વાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય,પરંતુ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતો ઉપર દાદાગીરી કરીને, એમના ઉપર લાઠીચાર્જ વરસાવીને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી.'
રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ યાત્રાના સંકલન અને આયોજનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે.

