વિરોધ@ગુજરાત: શાળા શરૂ કરતાં બાળકો સંક્રમિત થશે તો કોની જવાબદારી ? કોંગ્રેસ
અટલ સમાચાર,ડેસ્ક
કોરોનાકાળમાં ગુજરાતમાં સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાને લઇને અડગ જોવા મળી રહી છે. આ તરફ વાલીઓ, તબીબો સહિત લોકોનું હાલમાં સ્કૂલો ન ખોલવાની તરફેણમાં જોવા મળી રહ્યાં છે. હાલ દિવાળીના તહેવારમાં રાજ્યમાં સંક્રમણ ઝડપથી ફેલાતાં કોરોનાનો પ્રકોપ ફરી વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શાળો શરૂ કરવાના મુદ્દે હવે કોંગ્રેસે પણ વિરોધ વ્યક્ત કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતમાં હાલ 23મીથી શાળાઓ શરૂ કરવાને લઇને સરકારનું વલણ સ્પષ્ટ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું છે કે કોરોનાનો સેકન્ડ ફેઝ શરૂ થઇ ગયો છે, ત્યારે શુ શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓના જીવ વાલા નથી ? કોંગ્રેસે કહ્યું કે, મુખ્યમંત્રીના વિસ્તારમાં જ 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. શું શિક્ષણમંત્રી એજ્યુકેશન સર્ટિફિકેટ આપવા માંગે છે કે ડેથ સર્ટિફિકેટ ? બાળકો સંક્રમિત થશે તો સરકારની જવાબદારી નહીં ? સ્કૂલ સંચાલક અને સરકારની આ મિલીભગત છે. આ એક પ્રકારનો ફી લેવાનો કારસો છે. જો રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે શાળા સંચાલક મંડળનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ શરૂ કરવાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવો જોઈએ. 23 નવેમ્બરથી શાળાઓ શરૂ ન કરવી જોઈએ. 2 સપ્તાહ બાદ શાળાઓ શરૂ કરવાનો સરકાર નિર્ણય કરે તો સારૂ. આ તરફ વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે, કોરોનાની મહામારી જોતા શાળાઓ એક મહિના પછી શરૂ કરવામાં આવે. કેમ કે, બાળકોને કોરોના થશે તો તે માટે કોણ જવાબદાર ગણાશે ? વાલીઓ દ્વારા તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે, ગુજરાતમાં હાલ કોરોના તહેવારોમાં વકર્યો છે અને બાળકો પાસે સોસિયલ ડિસ્ટન્સિંગથી લઈ તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવું અઘરૂં છે એટલે હાલ શાળાઓ શરૂ કરવી હિતાવહ નથી.
સોમવારથી શાળા શરૂ થતાં આ નિયમોનું પાલન જરૂરી
- ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થશે
- શાળામાં હાજર રહેવાનો નિર્ણય વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે લઈ શકશે
- શાળામાં હાજર રહેવા માટે વાલીઓનું સહમતિ પત્ર ફરજિયાત
- સરકારની SOP પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે
- સોમ, બુધ અને શુક્રવારે ધોરણ 10-12ના વિદ્યાર્થી રહેશે હાજર
- મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 9-11 ના વિદ્યાર્થી હાજરી આપશે
- શિક્ષકોએ પણ શાળામાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે
- શંકાસ્પદ લક્ષણ દેખાય તો વિદ્યાર્થીઓને નહીં મળે પ્રવેશ
- વિષય અને અભ્યાસક્રમ અંગે શાળાના આચાર્ય નિર્ણય લેશે
- પરિવારમાં કોઈને કોરોના થયો હશે તો તેવા વ્યક્તિને પ્રવેશ નહીં
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી કે સ્ટાફના કર્મીને પ્રવેશ નહીં