વિરોધ@ગુજરાત: સરકારના આદેશથી તલાટીઓ ભડક્યાં, 'પરિપત્ર પાછો નહી ખેંચે તો દેખાવો કરીશું'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્ય સરકારે રખડતાં શ્વાનની ગણતરીની જવાબદારી તલાટીઓના માથે થોપી દીધી છે. સરકારે પરિપત્ર કર્યો છે જેમાં તલાટીઓને કહેવાયું છે કે, રખડતાં નર અને માદા શ્વાનની ઓળખ કરવાની રહેશે. સાથે સાથે રખડતાં શ્વાન ક્યાં રહે છે તે પણ શોધવાાનું રહેશે. સરકારના હાસ્યાસ્પદ આદેશને પગલે તલાટીઓ રોષે ભરાયાં છે.ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ મળીને 2.41 લાખ કેસો નોંધાયા છે. આ ઉપરાંત શ્વાનના કરડવાથી મૃત્યુ થયા હોય તેવા પણ કિસ્સા બન્યાં છે. આ જોતાં સુપ્રીમકોર્ટે દિશાનિર્દેશ આપતાં રાજ્ય સરકારે તલાટીઓને નવુ કામ સોપ્યું છે.
વિકાસ કમિશનરે આદેશ કર્યો છે કે, તલાટીઓએ હવે કયા જાહેર સ્થળોએ રખડતાં શ્વાન હોય તે સ્થળોની યાદી તૈયાર કરવી પડશે. દરેક ગ્રામ પંચાયતે રખડતા શ્વાન માટે ફીડીંગ ઝોન બનાવવો પડશે. તલાટીઓએ નર અને માદા શ્વાન પણ અલગથી તારવી સંખ્યા નક્કી કરવી પડશે.રાજ્ય સરકારના આદેશને પગલે તલાટીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે. તેમનું કહેવુ છે કે, 'આજે તલાટીઓ ગ્રામ પંચાયતના વહીવટની સાથે સાથે મહેસૂલની કામગીરી, જન્મ-મૃત્યુની નોધણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત કૃષિ સહાય માટે દાખલા કાઢવાની કામગીરી કરી રહ્યાં છે.
એક એક તલાટીને બે ત્રણ ગામોની જવાબદારી સોંપાઇ છે. 'નર-માદા શ્વાનની ઓળખ વિશે તલાટીઓ કહે છે કે, 'પશુઓ વિશે અમારામાં ક્યાંથી જ્ઞાન હોય. આ કામગીરી તલાટીઓના મનોબળને ધક્કો પહોચાડનારી છે.'ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, જો સરકાર આ હાસ્યાસ્પદ પરિપત્ર પાછો નહી ખેંચે તો, નાછૂટકે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થવુ પડશે.

