રેફરલ@થરા: ડોક્ટરની બેદરકારીથી મોતનો આક્ષેપ, લાશ લેવાનો ઇન્કાર
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)
થરાની રેફરલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. જેથી પરિવારજનો લાલઘુમ બની સરકારી હોસ્પિટલના ડોક્ટરો ઉપર રોષે ભરાયા છે. ડોક્ટરોએ ખોટી દવા આપી અને બેદરકારી દાખવતા પુત્રીનું મોત થયાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. મંગળવારે પુત્રી મોતને ભેટી હોઇ બુધવાર બપોર સુધી લાશની સ્વિકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે તાલુકાથી લઇ જીલ્લા આરોગ્ય આલમમાં મામલો શંકાસ્પદ બન્યો છે.
બનાસકાંઠા જીલ્લાના થરા રેફરલ હોસ્પિટલમાં ઇન્દ્રમણા ગામની 7 વર્ષની પુજા ઠાકોર નામની બાળકીનું મોત નિપજયુ છે. કોઇ કારણસર બાળકીનું મોત થતાં પરિવારજનો સરકારી હોસ્પિટલના ડોક્ટર ઉપર આક્ષેપ કરી રહ્યા છે. રેફરલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે તેમની બાળકીનું મોત નિપજ્યું હોવાની દલીલ કરતા મામલો ગુંચવણભર્યો બન્યો છે. જયાં સુધી ડોક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ લાશ નહિં સ્વિકારે તેમ પરિવારજનો જણાવી રહ્યા છે.
સમગ્ર મામલે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સંજય શાહે જણાવ્યુ હતુ કે, કોઇપણ ડોક્ટર દર્દીનું મોત નિપજાવી શકે નહિ. રેફરલ હોસ્પિટલની બાબતમાં આક્ષેપો હોઇ પરિવારજનો બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવે તો વધુ સ્પષ્ટતા થઇ શકે. વિગતો આવી છે પરંતુ કોઇ રજૂઆત કે ફરીયાદ ન હોવાથી તપાસની ગુંજાઇશ નથી. ઉલ્લેખનિય છે કે, સરકારી હોસ્પિટલના ડોક્ટર વિરૂધ્ધ આક્ષેપ કરતા પંથકમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.