રાહત@પાલનપુર: લોકડાઉન વચ્ચે હજારો ગરીબોના પેટ ઠારતું યુવાનોનું ગ્રુપ
અટલ સમાચાર, પાલનપુર
કોરોનાના સંક્રમણથી બનાસવાસીઓને સુરક્ષિત રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે દાતાઓએ પણ ઉદાર હાથે સહાયની સરવાણી વહાવી ઉત્તમ સેવા કરી રહ્યા છે. લોકડાઉનના આ સમયમાં પરિવર્તન ગ્રુપ પાલનપુરના યુવાનો પાલનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં રોજના 5 હજાર માણસોને વિનામૂલ્યે જમાડવાની ઉત્તમ સમાજ સેવાનું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર મુકામે ધનિયાણા ચોકડી ખાતે આ ભોજન સેવા કેન્દ્રની મુલાકાત લઇ તેમજ ભોજન આપવા અંગેની વ્યવસ્થાની જાણકારી મેળવી પરિવર્તન ગ્રુપના યુવાનોની સેવાને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. કલેકટરએ કહ્યું કે, પરિવર્તન ગ્રુપના યુવાનો દ્વારા જરૂરીયાતમંદ લોકો સુધી સામેથી જઇને ભોજન સુવિધા પુરી પાડવાની બહુ સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરિવર્તન ગ્રુપના મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે, અમે પાંચ મિત્રો રવિભાઇ સોની-પરિવાર ક્લાસીસ, અશોકભાઇ પટેલ, દિવાકરભાઇ જોષી અને જયંતિભાઇ પઢીયારે મળીને લોકડાઉનના સમયમાં ૧ હજાર જેટલાં લોકોને ભોજન મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કર્યુ હતું, પરંતું દાતાઓના સાથ સહકારથી આજે દરરોજ અમે ૫ હજાર લોકોને ભોજન આપી શકીએ છીએ તેનો આનંદ છે. તેમણે કહ્યું કે, પાલનપુર શહેરના ૬ જેટલાં રૂટ બનાવી બપોરે ૫ હજાર માણસોને પુરી-શાક, દાળબાટી, દાળભાત વારાફરતી આપીએ છીએ અને સાંજે કઢી-ખીચડી, સ્વામીનારાયણ ખીચડી, પુલાવ વગેરે બનાવી અલગ અલગ રૂટના ટ્રેક્ટર ટ્રોલી અને જીપડાલામાં ભરી ૫૦ યુવાનો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી પ્રેમથી જમાડે છે.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રનો ખુબ સહયોગ મળી રહ્યો છે. વાહન પાસથી લઇ ૪૦ ગેસના બાટલા, ૪૦૦ કિ.લો. દાળ તંત્ર તરફથી મળી છે. અમે કોઇપણ વ્યક્તિ પાસેથી રોકડ રકમ લીધા સિવાય આ સેવાકેમ્પ છેલ્લા ૧૦ દિવસથી ચલાવી રહ્યા છીએ. જેમાં શાકભાજીના દાતા લલિતભાઇ વાસવાણી, સેવા કેન્દ્રની જગ્યાના દાતા- રાધે હોટલવાળા પ્રતિકભાઇ જોષી કે જેમણે આ સેવા કેન્દ્ર ચાલે ત્યાં સુધી પોતાની હોટલનો પણ ઉપયોગ કરવા ઉદાર હાથે મદદ કરી છે. મનોજભાઇએ કહ્યું કે, લોકડાઉનના સમયમાં લોકો ભૂખ્યા ન રહે તેની ચિંતા સમાજ પણ કરતો હોય છે. દાતાઓ દ્વારા અમને પાંચ દિવસનો સ્ટોક એડવાન્સમાં મળી ગયો છે અને આ સેવા લોકડાઉન રહેશે ત્યાં સુધી અવિરત ચાલતી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
નોડલ ઓફિસર ચેતનભાઇ પટેલે જણાવ્યું કે, લોકોની મદદ માટે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ પર ભોજન માટે કોઇ ફોન કોલ આવે તો તાત્કાલીક આ ગ્રુપને જાણ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા બે ઇમરજન્સી રૂટ પણ બનાવેલા છે તેઓ તેમના ઘરે જઇ ભોજન આપી આવે છે એવી વ્યવસ્થા કરી છે. આપની આજુબાજુ પાલનપુર શહેરમાં કોઇ ભૂખ્યુ ન સૂવે તે માટે પરિવર્તન ગ્રુપના મનોજભાઇ ઉપાધ્યાયના મોબાઇલ નં. ૯૪૨૯૭૧૭૨૫૯ ઉપર સંપર્ક કરવા તેમણે જણાવ્યું છે.