રાહત@પાલનપુર: બાળક સહિત 3 જણાએ કોરોના ઉપર મેળવી જીત, સાજા થયા
અટલ સમાચાર,પાલનુપર
બનાસકાંઠા જિલ્લામાં બાળક સહિત 3 જણા કોરોના ઉપર જીત મેળવીને સાજા થયા છે. આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ત્રણેયને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે માનભેર દર્દીઓને વિદાય આપવામાં આવી હતી. આ સાથે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ગિફ્ટ અને ચોકલેટ આપવામાં આવી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ પોઝિટિવ દર્દીઓની સારવાર પાલનપુરની બનાસ મેડિકલની કોવિડ-19 હોસ્પિટલમાં થઈ રહી છે. જેમાં ગઠામણ ગામની 4 વર્ષીય બાળકી સુલુફા ઢુંકા, 14 વર્ષીય અજય ચૌહાણ અને 19 વર્ષીય આશા પરમારનો સતત બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓને આજે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પાલનપુરની કોવિડ હોસ્પિટલના ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું કે, આ ત્રણે બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ અપાયા છે. અન્ય પોઝિટિવ લોકોની સારવાર ચાલી રહી છે તે પણ જલ્દી સ્વસ્થ થઈ જશે. તો કોરોનાના માત આપનાર આશાબેન પરમારે કહ્યું કે, હું 16 દિવસથી સારવાર લઈ રહી હતી હવે હું બિલકુલ સ્વસ્થ છે હું ડોક્ટરોનો આભાર માનું છું.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરના ગઠામણ ગામમાં 21, ભાગળ ગામમાં 2, વાવ તાલુકામાં 6 અને થરાદમાં 1 કેસ નોંધાયો છે. આજે ગઠામણના 3 બાળકો અને અગાઉ મીઠાવીચારણ ગામના 5 વર્ષના વર્ષીય બાળકે કોરોનાને માત આપતા કુલ 4 દર્દીઓને રજા અપાઈ છે.