ધાર્મિક@બેચરાજી: સાંપાવાડામાં ગણેશ વિસર્જનની ભવ્ય યાત્રા નીકળી
અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર)
બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામમાં તારીખ ૨ થી ૮ તારીખ સુધી ગામની ઉમિયા વાડી પાસે પાટીદાર યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૮ ના રોજ સાંજે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય ડી.જે.ના તાલ સાથે યાત્રા નીકળી હતી.
આ યાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. આ સાથે ચારે તરફ ગણપતિ બાપા મોરિયા ના નાદ ગુંજ્યા હતા. આ યાત્રામાં ભાવિભક્તો મોટી સંખ્યામાં જોડાતા ભક્તિમય માહોલ સર્જાયો હતો.
આ યાત્રા ગામમાંથી નીકળી હતી અને રૂપેણ નદી પાસે વાજતે ગાજતે પહોંચી હતી.ત્યારે બહુચરાજી હારીજ હાઇવે ઉપર ૪ ફૂટ જેટલું પાણી ભરાયુ છે. ત્યારે આ યાત્રામાં જોડાયેલા તમામ ભાવિભક્તોને ગંદા પાણીમાં થઇને પસાર થવું પડ્યું હતું. ત્યારે તમામ ભાવિભક્તોએ નઘરોળ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
સાંપાવાડા ગામની રૂપેણ નદી પાસે આરતી પૂજા કર્યા બાદ શ્રીજીની મૂર્તિનું ભારે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં રૂપેણ નદીમાં વિસર્જન કરાયું હતું. ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નારાથી ગુંજી ઉઠતા નદી કિનારાનો માહોલ ભક્તિમય બન્યો હતો. સાથે આ ગણેશ વિસર્જન કાર્યક્રમની કામગીરી પાટીદાર યુવક મંડળના યુવકોએ ખૂબ સુંદર રીતે પાર પાડી હતી.