ધાર્મિક@ચાણસ્મા: પીંપળમાં પીંપળોજ માતાજીના મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી
અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)
ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે ઉજાણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા. દર વર્ષની ભાદરવા સુદ છઠ્ઠના દિવસે ગામમાં પીંપળોજ માતાની ઉજાણીનો પર્વ ખૂબજ ધામધુમથી ઉજવાય છે. આ મહોત્સવમાં વતનથી દુર રહેતા લોકો પણ ગામમાં આવતા હોય છે.
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામમાં મોટાભાગે પાટીદાર સમાજ વસવાટ કરે છે. પીંપળમાં દર વર્ષ ભાદરવા સુદ છઠ્ઠના રોજ પીંપળોજ માતા ઉજાણીનો પર્વ ખૂબજ ધામધૂમ તેમજ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસે ગામની બેન દિકરીઓ તેમજ અમારા વતનના બહાર રહેતા અવશ્ય હાજરી આપીને પર્વને ઉજળો બનાવે છે.
ઉજાણીમાં દરમ્યાન ગામમાં કેવો માહોલ હોય છે ?
ગામના દરેકના મૂર્હત પ્રમાણે સૂંડલા ઉપડે છે. અને સાંજે પરત આવે છે. ગામના પાદરે બપોરથી સાંજ સુધીમાં ધામ-ધૂમ તેમજ આનંદ ઉત્સાહથી ગરબા ગવાય છે. સાંજે સંધ્યા કાળે ગામની ચોફેર દૂધ સાથે ધારાવાડા દેવાય છે. તે સમયે ઢોલી- પીંપડીયો- ભૂવાજી તથા ગામના દરેક માણસો ખૂબજ પ્રેમ અને ઉત્સાહથી હાજર હોય છે. ઢોલના ધમકારે પીંપળોજ માતાનો જયજય કાર થતો હોય છે. આ સમયે દરેક માણસોમાં એક અનેરો આનંદ છવાયેલો હોય છે. તેમજ ગામના પાદરે આખો માહોલ જ અલગ હોય છે.
પીંપળ ગામની શું કથા છે ?
ગામના રહીશ ભરતભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પૌરાણિક કથા પ્રમાણે અમારા પીંપળ ગામમાં પૂર્વજોનું કહેવું એવું છે કે, સૌ પ્રથમ ગામની અંદર આહિરો રહેતા હતા. તેઓ સ્થળાંતર કરીને બીજા ગામે ગયા પછી પીંપળીયા પરિવારના પાટીદારો આવીને ગામનું તળપટ બાંધ્યું હતુ. તે સમયે પીંપળોજ માતાનું સ્થાપન કર્યુ હતુ તેથી ગામનું નામ પીંપળ પાડવામાં આવ્યુ હતુ. પછી ધીરે ધીરે નવા પરિવારો આવ્યા અને ગામ મોટું બનતુ ગયુ. અત્યારે હાલ દરેક જ્ઞાતિના માણસો રહે છે. હાલની તારીખે અમારું ગામ સુખ સમુધ્ધિ તેમજ વિકસિત છે.