ધાર્મિક@ગુજરાત: ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમી દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે. ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' અને 'હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ડાકોરમાં ઠાકોરજીને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીરાજડિત મુગટ પહેરાવવામાં આવશે આવ્યો. ભગવાન શ્રી રણછોડરાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ભાવવિભોર બની 'જય રણછોડ'ના જયઘોષ કર્યો હતો. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.