ધાર્મિક@હિન્દુઃ એકાદશીએ ભગવાન વિષ્ણુને ખુશ કરવા આટલું કરો, માંંગો તે મળશે
અટલ સમાચાર, ડેસ્ક
ભાદરવો માસ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીએ જળઝીલણી એકાદશી કે પદ્મા એકાદશી પણ કહેવાય છે. વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં આ એકાદશીનું ખુબજ મહત્વ રહેલું છે. ભગવાન અષાઢ સુદ એકાદશીએ પોઢવા પધારે છે. અને કારતક સુદ એકાદશીએ જાગ્રૃત થાય છે. પરંતુ ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે.
આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.
પૂજા કરવાની રીતઃ
જળઝીલણી એકાદશીએ ભગવાન વિષ્ણુના પીળાં ફૂલ અને મિષ્ઠાન ધરાવી પૂજા અર્ચના કરવી જોઈએ. 11 કેળા શુદ્ધ કેસર અર્પણ કરો. એક આસન પર બેસી ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. જપ કર્યા પછી બાળકોને પ્રસાદ આપો. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વામન રૂપની પૂજા કરવામાં આવે છે.
પૂજાનું ફળઃ
અને આ વ્રત કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા ફળ ફૂલ અર્પણ કરી તેના 108 નામના જાપ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીએ પૂજા પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે.