આસ્થા@બેચરાજી: ચૈત્રી પુનમે માતાજીના આશીર્વાદ લેવા શ્રદ્વાળુઓ દોડી આવ્યા
અટલ સમાચાર, બેચરાજી
બેચરાજીમાં પરંપરાગત રીતે ભરાતાં મેળામાં શ્રદ્વાળુઓના આગમનથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. દુખીયાના દુખ હરનારી આનંદ સ્વરૂપ માં બહુચરના ચરણોમાં શીશ ઝુકાવવા હજારો શ્રદ્વાળુઓ આવી રહ્યા છે. માઈભક્તોની આસ્થા અને શ્રદ્વાનો સમન્વય બની ચુકેલા યાત્રાધામ બેચરાજીમાં ભાવિકોને આવકારવા સ્વયંસેવકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બુધવારથી શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પુનમના ત્રણ દિવસીય મેળાના રંગે ચંગે પ્રારંભ થયો છે. આ વખતે એપ્રિલના પ્રારંભે જ પડી રહેલી ગરમીને લઈ બહારથી આવતા પદયાત્રીઓ અને ભવિભક્તોને ૪૨ ડિગ્રી ગરમીમાં રોકાવું ન પડે તે માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દરેક જગ્યાએ બાધવામાં આવેલા મંડપની સાથે સાથે તેમાં ઠંડા પાણીનો છંટકાવ કરતા નાના નાના ફૂવારાની વ્યવસ્થા પણ કરાઈ છે.
ચૈત્રી પુનમના ત્રિદિવસીય મેળામાં ૧૦ લાખ જેટલા શ્રદ્વાળુઓ ઊમટી પડે તેવી ધારણા રાખી વહીવટીતંત્રે આયોજન હાથ ધર્યું છે. મેળાની સફળતા માટે ૧૧ જેટલી સમિતિઓ કાર્યરત બની છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. જેમાં પરમીટ વગરના વાહનો પર પ્રતિબંધ, પ્રદૂષણ ફેલાવતા અને અવાજ કરતા વાજીંત્રો પર પ્રતિબંધ, પાણીના પાઉચ વેચવા પર પ્રતિબંધ, પ્લાસ્ટીક અને કાગળો રસ્તા પર ફેકવા પર પ્રતિબંધ, મેળાના સ્થળે શૌચક્રિયા પર પ્રતિબંધ, ખાવા પીવા માટે યોગ્ય ના હોય તેવી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ અને યાત્રિકોને અડચણ કરતી પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચૈત્રી પૂનમના મેળામાં આવનાર શ્રદ્વાળુઓના વાહનોના પાર્કિંગ માટે પાંચ વિભાગમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન ૧૧ ડેપોની ૭૫ એકસ્ટ્રા બસો દોડશે. બહુચરાજીને વ્યંઢળ સમાજની ગુરૂગાદી અને ગુરૂદ્વાર માનવામાં આવે છે. આથી ચૈત્રીપુનમના મેળામાં ભારતભરનાં બે હજારથી વધુ વ્યંઢળો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડે તેમ છે.