ધાર્મિકઃ પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન પ્રાપ્ત થયું

અટલ સમાચાર, ડેસ્ક
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરાયું હતું. 225 જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ માંઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા દરમિયાન અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ મળતાં જ ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી હતી.દેવ દિવાળીએ એક લાખથી વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત આ દિવસે માતાજીને સવા કિલો સોનાનું છત્ર ચઢાવવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં 1.11 કરોડનું દાન આવ્યું હતું.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. માતાજી સાથે લાખ્ખો ભક્તોની આસ્થા સંકળાયેલી હોવાથી આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખ્ખો ભક્તો અહીં ઉમટે છે.આ ઉપરાંત પૂનમ,દિવાળી અને દેવ દિવાળી જેવા તહેવારમાં પણ મોટી સંખ્યામાં ભકતો દર્શન માટે આવતાં હોય છે. ઉલ્લેખનીય છેકે અગાઉ મંદિર પરિસર અને પગથિયાં ખૂબ જ સાંકડા હતા.જેને લઈ પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ સંચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડતી હતી સાથે દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડતી હતી.
પરંતુ હાલ મંદિર પરિસર વિશાળ બનાવવામાં આવી રહ્યું છે અને સાથે જ તમામ પગથિયાં પહોળા કરી ચઢાવ ખૂબ જ ઓછો કરી દેવામાં આવ્યો છે.કરોડોના ખર્ચે થઈ રહેલી આ કામગીરી મુલાકાતીઓ માટે માતાજી સુધી પહોંચવા માટે એકદમ અનુકૂળ બની છે. ભક્તો હાલ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી રહ્યા છે અને સાથે ધન્યતા પણ અનુભવી રહ્યા છે. બીજી તરફ મંદિર પરિસર મોટું થતાં આ વર્ષે દેવ દિવાળી નિમિત્તે પ્રથમવાર 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શન સાથે મહા આરતી અને મહા પ્રસાદીનું પણ મંદિર ટ્રસ્ટ સંચાલકોએ આયોજન કરતાં દર્શનાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી.પ્રથમવાર આ પ્રકારે અન્નકૂટ અને મહા આરતીના દર્શનનો લ્હાવો મળતાં જ દિવસ દરમિયાન ઉમેટેલા એક લાખ જેટલા દર્શનાર્થીઓએ આયોજકોનો આભાર માન્યો હતો.