ધાર્મિક@મહેસાણા: લીંચ ગામે આવેલું છે પૌરાણિક શીતળામાતા મંદીર, જાણો વધુ
અટલ સમાચાર, મહેસાણા
હજારો વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનોખું મહત્વ છે. અત્યારે શરુ થઇ ગયેલી ઉત્સવો અને તહેવારોની મોસમમાં રાંધણ છઠ અને પછી બીજે દિવસે શીતળા સાતમ ઉજવાય છે. હિંદુ સંસ્કૃતિની માન્યતા મુજબ કેટલોક વર્ગ શીતળા માતાની પૂજા કરે છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાના લીંચ ગામમાં શીતળા માતાનું એકદમ ઐતિહાસિક મંદિર આવેલું છે. આજે ગામમાં ભરાતા મેળામાં આજુબાજુના શ્રધ્ધાળુંઓ ઉમટી પડશે.
મહેસાણા જીલ્લાના લીંચમાં અતિપૌરાણક શીતળામાતાનું મંદીર આવેલુ છે. જયાં દરવર્ષે શીતળાસાતમે મોટો મેળલ ભરાય છે. શીતળા માતા તેમજ દક્ષ રાજા ના મંદિરો હાલ પુરાતત્વ ખાતાએ આરક્ષિત કરેલા છે. મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શનાર્થે પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડે છે.
દરેક પ્રાંત અને ગામોમાં એક લોકવાયકા હોય છે, ક્યાંક પરંપરા પણ જોવા મળે છે, આવી જ પરંપરા લીંચના શીતળા માતાના મંદિરે પણ છે, ચૈત્રમાસમાં ભક્તો પાણીના ઘડુલા ભરી શીતળા માતાને ઠારવા માટે આવે છે.
સ્થાનિકોના મતે આ એકદમ પૌરાણિક મંદિર છે જે અંદાજે બારમી સદીમાં બનેલું છે. શીતળા માતા તેમજ દક્ષ રાજાના મંદિરની મુર્તિઓ એકદમ કળાત્મક છે. મંદિરની સારી રીતે જાળવણી થાય અને પુરાતત્વ ખાતું સારી રીતે માવજત કરે એ માટે અનેકવાર પત્ર વ્યવહાર દ્વારા પ્રયત્નો કર્યા છે.
ઐતિહાસિક સ્થળ તો છે જ પણ પરંપરા પ્રમાણે આ શીતળા માતાના મંદિર સાથે લોકોની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. ઐતિહાસિક કળાત્મક મુર્તિઓ સાથેનું આ લીંચ ગામનું શીતળા માતાનું મંદિર જોતાં થાય કે આવી અનેક ધરોહર સમગ્ર ભારત વર્ષમાં હશે. જે જાળવણી ઝંખે છે.