બેચરાજીના શંખલપુર ખાતે છઠ્ઠા પાટોત્સવનો રંગેચંગે પ્રારંભ
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લાના યાત્રાધામ બેચરાજી નજીક આવેલ શંખલપુર ખાતે ટોડા બહુચર માતાજીના છઠ્ઠા પાટોત્સવનો બુધવારે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રારંભ થયો હતો. આ પાટોત્સવના પ્રથમ દિવસે રૂ.પ૧ લાખના દાનથી તૈયાર કરેલ રજવાડી ગેટનું દાતા.ડો.કરશનભાઇ પટેલ (નિરમા ગ્રુપ)ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
પર૦૦ વર્ષ પ્રાચીન નીજધામમાં ૬ વર્ષ અગાઉ સાત ફુટ ઉંચી માં બહુચરની પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. જે નિમિત્તે બુધવારથી શરૂ થયેલા બે દિવસીય પાટોત્સવ પ્રસંગે નિજમંદીરે અમેરિકન ફુલોથી શણગારવામાં આવ્યુ હતુ. માતાજીને અન્નકુટ ધરાવાયો હતો.
આ પ્રસંગે યોજાયેલા સમારોહને નિરમાના ચેરમેન ડો.કરશનભાઇ પટેલે રિમોર્ટથી દીપ પ્રાગટય ઘ્વારા ખુલ્લો મુકયો હતો. જુનાગઢ આશ્રમના મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતી બાપુએ આર્શીવચન પાઠવતાં જણાવ્યું કે, ધર્મ આપણું રક્ષણ કરે છે. આપણે ધર્મનું રક્ષણ કરવું જોઇએ. આપણી ધર્મપરંપરાને શંખલપુર જેવા તીર્થસ્થાનો-સાંસ્કૃતિક ધરોહરો આગળ ધમાવવાનું શુભ કાર્ય કરી રહી છે.
આદીવાડા આશ્રમના સ્વામી બ્રહમાનંદજીએ આર્શીવચન આપતાં જણાવ્યું હતુ કે, જીવનમાં આગળ વધવા માટે પોતાનામાં આત્મવિશ્વાસ કેળવજો. કોઇની નકલથી આગળ વધી શકાશે,પરંતુ તેમાં વિશ્વાસ નહી હોય તો ગમે ત્યારે નીચે પટકાશો. આત્મવિશ્વાસ જ વ્યકિતને સફળતા અપાવી શકે છે.
આ પ્રસંગે રાકેશભાઇ પટેલ(નિરમા),મહેન્દભાઇ પટેલ(આદિવાડા), નરોત્તમભાઇ સોરિયા, બેત્તાલીસ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કિર્તિભાઇ પટેલ, પુર્વ પ્રમુખ કાનજીભાઇ પટેલ,સરપંચ ભીખીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા. ટોડા ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલે સ્વાગત પ્રવચન અને મંત્રી અમૃતભાઇ પટેલે આભાર વિધિ કરી હતી. આ પાટોત્સવમાં રાજયભરમાંથી આનંદના ગરબા મંડળો સહિત માઇભકતો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.