રીપોર્ટ@અમદાવાદ: 108 કળશનો ભગવાન જગન્નાથજીને જલાભિષેક, 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. આજે જેઠ સુદ પૂનમે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહાનુભાવો અને ભક્તો ઉમટી પડ્યા હતાં.અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રથયાત્રા પહેલા આજે મહત્વનો અવસર છે. ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી. મંદિરથી શોભાયાત્રા ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે. જે મંદિરે લાવીને ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવી હતી. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતાં. આ દર્શન ખાસ છે, કારણ કે વર્ષમાં એક જ વાર પ્રભુ ગજવેશમાં દર્શન આપે છે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે.અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે આજે સવારે 8 વાગે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.
આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં સવારે 8.30ના ગંગાપૂજન વિધિ કરાઈ હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી સવારે 10 કલાકે ભગવાન જગન્નાથની ષોડ્સોપચાર પૂજન વિધિ કરીને મહાજલાભિષેક કરાયો હતો. આ પછી સવારે 11 વાગે ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના દર્શન ખુલ્લા મુકાયા હતાં બપોરે 12 વાગે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આજની જળયાત્રામાં 14 ગજરાજ અને વધુ ભજનમંડળીઓ પણ જોડાઈ હતી.