રીપોર્ટ@અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની, પહેલીવાર મળ્યો ગાર્ડ ઓફ ઓનર

 
રથયાત્રા
રથયાત્રામાં વિશાળ સુરક્ષા બંદોબસ્ત, કુલ 23844 પોલીસ જવાનો તૈનાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની. પહેલીવાર રથયાત્રાને અમદાવાદ શહેર પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ધંધુકિયાએ માહિતી આપી હતી કે રથયાત્રા શરૂ થતી પહેલા 'પહિંડવિધિ' પહેલાં આ સન્માન અપાયું હતું.

અગાઉની 147 રથયાત્રાઓમાં ક્યારેય એવું ન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં લગભગ 12 થી 15 લાખ ભક્તો જોડાય છે. તેમજ VVIP અવરજવર પણ વધુ રહે છે. જેથી સમગ્ર યાત્રામાર્ગ પર અદભુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. રથયાત્રાના 18 કિમીના માર્ગમાં દરેક મોહલ્લા, માર્ગ, અને છત પર સુરક્ષા દળો તૈનાત છે. શહેરના સંવેદનશીલ વિસ્તારો જેમ કે દરિયાપુર અને શાહપુરમાં RAF, CRPF, BSF સહિતના અર્ધસૈનિક દળોની વિશેષ તૈનાતી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર જી.એસ. મલિક અને DGP વિકાસ સહાય સંપૂર્ણ નિયંત્રણ અને દેખરેખ રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત અપડેટ લઈ રહ્યા છે.