રીપોર્ટ@અમદાવાદ: વડાપ્રધાન મોદીએ યોજી સમીક્ષા બેઠક, સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાના જે પ્રવાસી/હતભાગીઓના મૃતદેહો અહીં છે, તેમના DNA મેચ થયા બાદ સગાઓને સોંપવામાં આવશે. હાલ DNA લેવાની પ્રક્રિયા શરૂ છે. સેમ્પલ લીધા બાદ મેચિંગ લેબ માટે મોકલવામાં આવશે. ઘટનાની ગંભીરતા અને મૃતદેહોની સ્થિતિ જોતા સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 દિવસથી વધુનો સમય લાગી શકે છે.
મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી બાદ સિવિલમાં પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોને મુલાકાત કરીને સાંત્વના આપી હતી. તેના બાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા.વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા.