રિપોર્ટ@અમદાવાદ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો વિરોધ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય ભારતમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને આંદોલનો યોજાઇ રહ્યા છે. આજે 10 ડિસેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ભાજપના કાર્યકરો, હિન્દુ સંગઠનો સંત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરોના નારાથી રિવરફ્રન્ટ ગૂંજી ઉઠ્યું હતું.
હાલ અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઇને રિવરફ્રન્ટ ખાતે પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણમૂર્તિએ ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ફેલાયેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને માનવાધિકારોની રક્ષા કરવા, કાયદાકીય સુરક્ષાની ગેરેન્ટી આપવા અને હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને બંધ કરાવવાનો આગ્રહ કર્યો છે. બાંગ્લાદેશમાં 25 ઓક્ટોબરે ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસ વિરૂદ્ધ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ બાદ આ અશાંતિ વધુ ફેલાઈ છે. તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ખુબ વિરોધ પ્રદર્શન થયા.