રિપોર્ટ@અમરેલી: સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર લેટરકાંડમાં આખરે 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીના બહુ ચર્ચિંત લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. SP સંજય ખરાતની મોડી રાત્રે એક્શન લઈને LCBના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. અમરેલી પોલીસને અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું ભારે પડ્યું છે.
ચારેતરફથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો, અને દીકરીને ન્યાય આપવાનો મુદ્દો ઉઠ્યો હતો.ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી.