રીપોર્ટ@અમરેલી: દુધાળામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત, 'ગુજરાત ગૌરવ સરોવર'નું કર્યું લોકાર્પણ
ઉચ્ચ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા દુધાળા ગામે 'હેતની હવેલી' ખાતે પહોંચ્યા હતા. હેતની હવેલી ખાતે બનાવેલા હેલીપેડ પર તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું, જ્યાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગૃહમંત્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતના ઉચ્ચ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જળ સંચયના અગત્યના પ્રકલ્પ સમાન 'ગુજરાત ગૌરવ સરોવર'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ગૃહમંત્રીએ પર્યાવરણ જતનનો સંદેશ આપતાં સરોવર પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સરોવરથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્તર ઊંચા લાવવામાં અને પાણીની સમસ્યા ઉકેલવામાં મોટી મદદ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રીની અમરેલી મુલાકાતને લઈને લાઠી અને આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હેતની હવેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

