રીપોર્ટ@બંગાળ: નંદીગ્રામમાં હાર્યા છતાં મમતા બની શકે છે મુખ્યમંત્રી, જાણો કેવી રીતે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે ગઇકાલે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે પ્રચંડ જીત મેળવી છે. જોકે, મમતા બેનરજી ખુદ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. સુવેન્દુ અધિકારીએ તેમણે 1700 મતથી ચૂંટણીમાં હરાવ્યા છે. જોકે, મમતા અને તેમની પાર્ટીએ કહ્યુ છે કે તે તેના વિરૂદ્ધ કોર્ટમાં જશે. ટીએમસીના પ્રમુખ ભલે ચૂંટણી હારી ગયા હોય પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઇ મુશ્કેલી નથી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ભારતીય બંધારણની કલમ 164 હેઠળ તે મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે. કલમ 164 (4) કહે છે, “એક મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્યના વિધાનમંડળનો સભ્ય નથી, તેને પદ છોડવુ પડશે.” જેનો અર્થ એવો થયો કે મમતા બેનરજીએ છ મહિનાની અંદર કોઇ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવવુ પડશે. 2011માં પણ જ્યારે મમતા બેનરજીએ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તે સંસદ સભ્ય હતા. તેમણે વિધાનસભા ચૂંટણી લડી નહતી. કેટલાક મહિના બાદ તે ભવાનીપુરથી ચૂંટણી જીતી ગયા હતા.
સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અને કાયદાના જાણકાર અભિષેક સિંઘવીએ કહ્યુ, “કાયદાકીય રીતે અને નૈતિક રીતે કોઇને પણ મમતા બેનરજીના મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાઇને આવવા પર આપત્તિ ના હોવી જોઇએ. જો કોઇ પણ તેને મુદ્દો બનાવે છે તો તે તેના ભારતીય બંધારણના જ્ઞાનની કમીને દર્શાવશે.” મહત્વપૂર્ણ છે કે બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. ચૂંટણીમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પડકાર આપતા જોવા મળ્યાં હતા. મમતા બેનરજીએ ખુદને બંગાળની બેટીના રૂપમાં રજૂ કરવાના અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, જેનાથી સરકારને લઇને સત્તાવિરોધી માહોલ ઓછો થયો હતો.