રીપોર્ટ@દેશ: રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો વિગતે

 
ચૂંટણી પંચ
ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે. આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે.ચૂંટણી પંચે તેના ECINet પોર્ટલ અને એપ પર નવું 'ઈ-સાઈન' ફીચર લોન્ચ કર્યું છે.

આ ફીચર હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ હટાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે લિન્ક થયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ચકાસવાની રહેશે. અગાઉ, અરજદારો કોઈપણ વેરિફિકેશન વગર ફોર્મ જમા કરી શકતા હતા, જેના કારણે ઓળખના દુરૂપયોગનું જોખમ રહેતું હતું.

નવી સિસ્ટમ શરૂ થયા બાદ, જ્યારે કોઈ વ્યક્તિ ECINet પોર્ટલ પર ફોર્મ 6 (નવા રજિસ્ટ્રેશન માટે), ફોર્મ 7 (નામ હટાવવા માટે), અથવા ફોર્મ 8 (સુધારા માટે) ભરે છે, ત્યારે તેને 'ઈ-સાઈન'ની જરૂરિયાત પૂરી કરવી પડશે.પોર્ટલ અરજદારને ખાતરી કરાવશે કે મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પર નામ સરખું છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે.ત્યારબાદ, અરજદારને એક બહારના ઈ-સાઈન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેને પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.આધાર નંબર દાખલ કર્યા બાદ, આધાર સાથે જોડાયેલા ફોન નંબર પર એક 'આધાર OTP' મોકલવામાં આવશે. OTP દાખલ કરીને અને સંમતિ આપ્યા બાદ જ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થશે, ત્યાર બાદ અરજદારને ફોર્મ જમા કરાવવા માટે પાછો ECINet પોર્ટલ પર મોકલવામાં આવશે.આ પ્રક્રિયા નકલી અરજીઓને રોકવામાં મદદ કરશે.