રીપોર્ટ@દેશ: CJPનો કેન્દ્ર સરકાર પર આરોપ, સરકારી શાળાઓમાં બાળકો માટે પ્રાણીઓથી પણ ખરાબ સુવિધા

 
CJP
વિદ્યાર્થિનીઓએ ગંભીર આરોપ લગાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

CJPએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે સરકારે ૨૫મી જુલાઈએ કરેલા વાયદા પૂરા કર્યા નથી. તેના કારણે હવે વિવિધ માંગોને ધ્યાનમાં રાખીને શિક્ષક દિવસ નિમિત્તે ૫મી સપ્ટેમ્બરે દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરાશે. ઈન્ડિયા ગેટથી વિરોધ પ્રદર્શન શરૂ કરીને દિલ્હીના પોલીસ મુખ્યાલય સુધી માર્ચ કાઢવામાં આવશે.આ માર્ચનું નેતૃત્વ નીટ પેપર લીકના પીડિત પરિવારો અને દિલ્હીના પ્રદર્શનો દરમિયાન હિંસાનો ભોગ બનેલા લોકો કરશે. સીજેપીએ દેશભરના વિદ્યાર્થી સંગઠનો અને યુવા સંગઠનોને આ માર્ચમાં સહભાગી થવા આહ્વાન કર્યું છે.

સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ દેશની સરકારી શાળાઓની બદતર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને દરેક રાજ્યના શિક્ષણ મંત્રીઓને સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને શિક્ષકોની ખાલી પડેલી જગ્યા, બજેટ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની જાણકારી આપવા પત્ર લખ્યો હતો. રાજ્યવાર ડેટાની માંગણી કરીને સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાઓમાં પ્રાણીઓથી પણ બદતર સ્થિતિ છે. તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. પીવાના પાણીથી માંડીને ક્લાસરૂમની સુવિધાના સંદર્ભમાં અભિજીતે સવાલો ઉઠાવ્યા હતા. સીજેપીએ દેશભરમાં સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે હવે સીજેપીએ આ માહિતી મેળવવા પત્રો લખ્યા છે.

અભિજીતે કહ્યું કે સરકારી શાળાઓની તસવીરો અને વીડિયો સતત સોશિયલ મીડિયામાં સામે આવતા રહે છે. આ જોઈને ગંભીર સવાલો ખડા થાય છે.એક તરફ શાળાઓમાં બેઝિક કહેવાય એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાની ભારે કમી છે, બીજી તરફ સરકાર મંત્રીઓના મકાનોના સમારકામ માટે છૂટા હાથે પૈસા વેરે છે. આરટીઆઈમાં મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે મંત્રીઓના મકાનોનું રિપેરિંગ કરાવવા પાછળ એક જ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ૨૦૧૪-૧૫માં ૨૭ કરોડનો ખર્ચ થયો હતો. તેની સામે આ ખર્ચ ત્રણ ગણો વધારે છે. છેલ્લાં ૧૨ વર્ષમાં કેન્દ્રીય મંત્રીઓના આવાસોની મરમ્મત પાછળ કેન્દ્ર સરકાર ૫૪૭ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. દેશના મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે જંતર-મંતરમાં પ્રદર્શનો દરમિયાન જે મહિલા પ્રદર્શનકારીઓ પર સુરક્ષાદળો દ્વારા જાતીય સતામણી થઈ હોય તેની તપાસ પહેલાં થશે. જંતર-મંતર પ્રદર્શનો પર થયેલી હિંસાની તપાસ માટે બનાવાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીને સીજેઆઈએ કહ્યું હતું કે જાતીય સતામણીના કિસ્સાઓમાં જે થયું હશે તેની તપાસનો રિપોર્ટ પહેલાં આવી જશે.

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો થયા તે સમયે ઘણી યુવતીઓએ એવી ફરિયાદ કરી હતી કે સુરક્ષાદળોના જવાનોએ તેમની છેડતી કરી હતી. સોશિયલ મીડિયામાં ઘણી વિદ્યાર્થિનીઓએ આવો ગંભીર આરોપ લગાવ્યો હતો. એ સંદર્ભમાં એડવોકેટ શોભા ગુપ્તાએ ન્યાયધીશને આ સંદર્ભમાં ત્વરિત નિર્ણય કરવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એક તપાસ સમિતિ બનાવી છે. એને જ આવા કિસ્સામાં તપાસની સ્વતંત્રતા આપવામાં આવી છે. પીડિત મહિલાઓ તેમની પાસે સીધી ફરિયાદ નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.