રિપોર્ટ@દેશ: છત્તીસગઢમાં નક્સલવાદીઓનો મોટો હુમલો, નવ જવાન શહીદ, આઠ ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. જેમાં આઈઈડી બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે. નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યો હતો. સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. બપોરે 2.15 વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધુ હતું. નક્સલવાદીઓએ બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં આઠ ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત નવ જવાન શહીદ થયા છે.
છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ રમન સિંહે બીજાપુર IED બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપ્યું છે કે, 'જ્યારે-જ્યારે નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન હાથ ધરાય છે, ત્યારે આ નક્સ્લીઓ આ પ્રકારની કાયરતાભર્યું અને પીઠ પાછળ હુમલો કરતાં હોય છે. નક્સલવાદ વિરૂદ્ધ છત્તીસગઢ સરકાર જે પગલાં ઉઠાવી રહ્યા છે. તેને હવે વેગવાન બનાવાશે. સરકાર ડરશે કે ઝુકશે નહીં. તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી ચાલુ રાખશે.'
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરૂણ સાવે આઈઈડી બ્લાસ્ટને વખોડતાં જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય તેનું વચન આપતાં કઠોર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર કરાયા હતા. તેમના મૃતદેહનો કબજો પણ સુરક્ષા દળોએ લઈ લીધો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં.