રીપોર્ટ@દેશ: PM મોદીએ ખેડૂતોના હિતમાં ₹35,440 કરોડના ખર્ચે બે મોટી યોજનાઓનું પેકેજ લોન્ચ કર્યું

 
મોદી
સરકારે કૃષિની સાથે સંલગ્ન અન્ય ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

PM નરેન્દ્ર મોદીએ આજે 11 ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિતમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ ₹35,440 કરોડના ખર્ચે બે મોટી અને મહત્ત્વની યોજનાઓની શરૂઆત કરી છે.PMએ ₹24,000 કરોડની 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના'નો પણ શુભારંભ કર્યો, જેનો ઉદ્દેશ સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો, ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસ્થાને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો છે.

PM મોદીએ આ યોજનાઓનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, "આજની 11 ઓક્ટોબરની તારીખ ખૂબ ઐતિહાસિક છે. આજે ભારત માતાના બે મહાન રત્નો - ભારત રત્ન જયપ્રકાશ નારાયણ અને ભારત રત્ન નાનાજી દેશમુખની જયંતી છે. આ બંને મહાન સપૂતો ગ્રામીણ ભારતનો અવાજ હતા અને ખેડૂતો તથા ગરીબોના કલ્યાણ માટે સમર્પિત હતા. આ ઐતિહાસિક દિવસે દેશની આત્મનિર્ભરતા અને ખેડૂતોના કલ્યાણ માટે આ બે મહત્ત્વપૂર્ણ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે."તેમણે કહ્યું કે આ યોજનાઓ ગ્રામીણ ભારતના વિકાસના પ્રતીક એવા જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.નવી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ દેશના 100 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે.

આ યોજનાના મુખ્ય લક્ષ્‍યો આ મુજબ છે: કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવો. ખેડૂતોને સસ્તા દરે ધિરાણની સુવિધા આપવી. સિંચાઈની વ્યવસ્થાને મજબૂત બનાવવી અને પાકોમાં વિવિધતા લાવવી. પાક વ્યવસ્થાપનને આધુનિક ટેક્નોલોજીથી જોડવું.આ યોજનાનો હેતુ ખેતીને માત્ર આજીવિકાનું સાધન નહીં, પરંતુ એક લાભદાયી વ્યવસાય બનાવવાનો છે.PM મોદીએ આ પ્રસંગે દાળોના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે 6 વર્ષના "રાષ્ટ્રીય દાળ આત્મનિર્ભર મિશન"ની પણ શરૂઆત કરી. આ મિશન હેઠળ ₹11,440 કરોડનું રોકાણ કરવામાં આવશે.