રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી, જાણો વિગતે

 
Modi
ક્રૂ-9ના અંતરિક્ષયાત્રીઓએ ફરી એકવાર દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ નાસાની અંતરિક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-9 અંતરિક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું. તેઓએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી કે, 'નાસાનું ક્રૂ-9 મિશન એ દૃઢ સંકલ્પ, હિંમત અને અનન્ય જુસ્સાનું પરિણામ છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9ના અંતરિક્ષયાત્રીઓએ ફરી એકવાર આ જ દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું અથાગ યોગદાન અને સાહસ લાખો લોકોને હંમેશા માટે પ્રેરિત કરશે. તે એક આઇકોન બન્યા છે. પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં.'

તેઓએ આગળ કહ્યું કે, 'સ્પેસ એક્સપ્લોરેશન માનવીના જુસ્સાને વેગ આપતાં તેમને સપનું સાકાર કરવાની હિંમત આપે છે. સુનિતા વિલિયમ્સ એક પથદર્શક અને પ્રેરણાનો સ્રોત છે. જેમણે પોતાની કારકિર્દીમાં આ જુસ્સાને જાળવી રાખતાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને પરત પૃથ્વી પર સુરક્ષિત લાવવાના પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો પર ગર્વ છે. તેઓએ કરી બતાવ્યું કે, જ્યારે જુસ્સો અને ટૅક્નોલૉજી એક સાથે કામ કરે છે, ત્યારે અદ્ભૂત પરિણામો મળે છે.' ક્રૂ-9 મિશનમાં સામેલ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત ચાર અંતરિક્ષયાત્રીઓ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. અગાઉ અનેક વખત તેમને અંતરિક્ષમાંથી પાછા લાવવાની કવાયત હાથ ધરાઈ હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી.