રીપોર્ટ@દેશ: ગુજરાતના આદિવાસી નેતાઓ PM મોદીને મળ્યા, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં ગુજરાતના આદિવાસી સમાજના અગ્રણી નેતાઓ અને લોકપ્રતિનિધિઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ ગૌરવપૂર્ણ બેઠક દરમિયાન આદિવાસી આગેવાનોએ વડાપ્રધાન સાથે આદિવાસી સમુદાયોના સશક્તિકરણ અને તેમના સર્વાંગી કલ્યાણ અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું હતું.ગુજરાતના આદિવાસી પટ્ટાના સર્વાંગી ઉત્થાન માટે નવી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી આવેલા આદિવાસી નેતાઓના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત અંગે માહિતી આપતા આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે, 'માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સંસદ ભવનમાં મળવું એ અમારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાની તેમની દૂરંદેશી અને આદિવાસી સમાજ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અમારા માટે હંમેશા પ્રેરણારૂપ રહી છે.'
આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા અનેક સીનિયર રાજકારણીઓ સામેલ હતા. આ બેઠકમાં પ્રી-પ્લાનિંગ મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના તાલમેલને વધુ મજબૂત કરવા પર મંથન થયું હતું.મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં શિક્ષણનું સ્તર સુધારવા, સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને સ્થાનિક સ્તરે જ રોજગારી નિર્માણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
આદિવાસી સમુદાયોનો વિકાસ એ માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તેમના સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે ડિજિટલ અને આર્થિક સશક્તિકરણ લાવવું એ સરકારની ટોચની અગ્રતા છે. પ્રત્યેક આદિવાસી બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જ જોઈએ. પીએમ મોદીએ ખાસ કરીને ઉમરગામ, ડાંગ, ધરમપુર અને છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાનના પ્રેરણાદાયી વિઝનથી પ્રભાવિત થઈને મુલાકાતે ગયેલા તમામ આદિવાસી આગેવાનોએ એકસૂરે સમાજના સર્વસમાવેશી વિકાસ માટે અવિરત કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મંત્રી નરેશભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આ બેઠકથી ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસને એક નવી ગતિ અને સાચી દિશા મળશે. આગામી સમયમાં કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા ગુજરાત માટે વિશેષ આર્થિક પેકેજ અને નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત થાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

