રીપોર્ટ@દેશ: કેન્દ્રીય કેબિનેટે ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી

 
Kebinet
જેનો કુલ ખર્ચ લગભગ 24,634 કરોડ રૂપિયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે કેન્દ્રીય કેબિનેટે 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેબિનેટ બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'સાત રલવે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો 41% હિસ્સો ધરાવે છે. અમે તાજેતરમાં આ કોરિડોરને મજબૂત બનાવવા અને વધુ જોડાણ માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.' હવે આ કોરિડોરમાં 4 લેન અને જ્યાં શક્ય હોય ત્યાં 6 લેન બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ લગભગ 24,634 કરોડ રૂપિયા છે.

મંત્રીમંડળે જે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે, તેમાં મહારાષ્ટ્રના વર્ધાથી ભુસાવલ વચ્ચે 314 કિમીના અંતરને આવરી લેતી ત્રીજી અને ચોથી લાઈન છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢમાં ડોંગરગઢ વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન, ગુજરાતના વડોદરા અને મધ્યપ્રદેશમાં રતલામ વચ્ચે 259 કિમી લાંબી ત્રીજી અને ચોથી લાઈન અને મધ્યપ્રદેશમાં ઈટારસી-ભોપાલ-બીના વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન સામેલ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જેમ-જેમ ઘણા રેલવે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થઈ રહ્યો છે. વસતી અને અર્થવ્યવસ્થામાં આપણા જેવા ઘણા દેશોએ રેલવે પર ભાર મૂક્યો છે, કારણ કે, તે પર્યાવરણની અનુકૂળ છે અને ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોના 18 જિલ્લાઓને આવરી લેતા આ ચાર પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 894 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે.

કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ લગભગ 3,633 ગામડાઓ જેની વસતી લગભગ 85.84 લાખ છે અને બે જિલ્લાઓ સુધી કનેક્ટિવિટી વધારશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમે એન્જિનના નિર્માણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અમે દર વર્ષે 1,600 એન્જિનનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ અને ઉત્તર અમેરિકાના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે. અમે દર વર્ષે 7,000 કોચનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ, ઉત્તર અમેરિકા અને જાપાનના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે.'