રિપોર્ટ@દાહોદ: સોલર પ્લાન્ટમાં ભયકંર આગ, 400 કરોડનો સામાન બળીને ખાખ

 
ઘટના
પ્લાન્ટના 95 ટકા સાધનો બળીને રાખ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદના ભાટીવાડામાં સોલર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી ગઈ છે. 70 મેગાવોટનો આ સોલર પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આગ હવાના કારણે એટલી ઝડપી ફેલાઈ કે પ્લાન્ટમાં 400 કરોડથી વધારેનો સામાન બળીને ખાખ થઈ ગયો. સોલર પેનલ, ટ્રાંસફોર્મર, કેબલ જેવો સામન રાખેલો હતો. NTPCના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, આગ એટલી ભયાનક હતી કે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ ગયો.

આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આગ ઓલવાઈ રહી છે પણ સામગ્રી એવી છે કે ફરીથી તણખા નીકળવા લાગ્યા છે જેના કારણે તેને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. પ્લાન્ટના 95 ટકા સાધનો બળીને રાખ થઈ ગયા છે. અન્ય કેટલીક જગ્યાએથી પણ ફાયર બ્રિગેડના વાહનો બોલાવવામાં આવ્યા છે પરંતુ આગ હજુ પણ ભડકી રહી છે.

એવી આશંકા છે કે આ આગ અસામાજિક તત્વો દ્વારા લગાવવામાં આવી હતી. નજીકના ગામના કેટલાક લોકોએ સોલાર પ્લાન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને વારંવાર તેમાં અવરોધો ઉભા કરી રહ્યા હતા. પોલીસના આગમન બાદ મામલો થાળે પડ્યો હતો. સોમવારે દિવસ દરમિયાન પ્લાન્ટ પર પથ્થરમારો પણ થયો હતો. પથ્થરબાજોના ફોટા સીસીટીવીમાં કેદ થયા હતા. પથ્થરમારામાં પ્લાન્ટના કામદારો પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે.