રિપોર્ટ@દેશ: પહલગામ આતંકી હુમલા બાદ સરકારે લીધા પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે

 
નિર્ણય

પાકિસ્તાનીઓને દેશ છોડવા 48 કલાક આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક થઈ. આ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા, જેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દેવાઈ છે. આ સાથે અટારી બૉર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વડાપ્રધાન આવાસ પર થયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત ઘણા ટોચના અધિકારી હાજર હતા. વિદેશસચિવ વિક્રમ મિસ્રીએ સીસીએસની બેઠકમાં લેવાયેલ પાંચ નિર્ણયોની જાણકારી આપી હતી.

1. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.

2. તાત્કાલિક અસરથી અટારી એકીકૃત ચેકપોસ્ટ બંધ કરાશે. જે લોકો માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે તેઓ 1 મે, 2025 સુધી એ જ રસ્તેથી પેલે પાર જઈ શકશે.

3. SAARC વિઝા અપવાદ યોજના અંતર્ગત પાકિસ્તાનના નાગરિકોને ભારત આવવાની પરવાનગી નહીં મળે. પાકિસ્તાની નાગરિકોને અપાયેલ દરેક જાતના SPES વિઝા રદ કરવામાં આવે છે. SPES વિઝા અંતર્ગત ભારત આવ્યા હોય એવા પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.

4. નવી દિલ્હી ખાતે પાકિસ્તાની હાઇ કમિશનમાં રહેલા સંરક્ષણ, મિલિટરી, નૅવલ અને ઍર ઍડ્વાઇઝરોને ભારતમાં 'અવાંછિત વ્યક્તિ' જાહેર કરવામાં આવે છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.

5. ભારત ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઇ કમિશનમાંથી પોતાના સંરક્ષણ, નેવી અને ઍર ઍડ્વાઇઝરોને પરત બોલાવી લેશે. બંને દેશોનાં હાઇ કમિશનોમાં આ પદો રદ કરવામાં આવેલા મનાશે.

નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય અને વાયુસેના સલાહકારોને પર્સોના નૉન ગ્રેટા વ્યક્તિ જાહર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.ભારત ઇસ્લામાબાદ ખાતે પોતાના ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય, નૌસેના અને વાયુસેના સલાહકારોને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે. આ નિર્ણય 1 મે 2025થી લાગુ થઈ જશે.બેઠકમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલાનું કાવતરું રચનારાઓ સામે સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે.આમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો એ રીતે ભારત વિરુદ્ધ ચરમપંથી કાર્યવાહી કરનારાઓને છોડવામાં નહીં આવે.