રિપોર્ટ@દેશ: બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18 લોકોના મોત નીપજ્યાં

 
વીજળી

હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.બિહારમાં હવે ચોમાસું લોકો માટે આફત બની ગયું છે. એક મહિના પહેલા આકરી ગરમીએ લોકોના જીવ લીધા હતા. સાથે જ હવે ચોમાસામાં પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિહારમાં કમોસમી વરસાદે લોકોને જીવલેણ ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ વીજળીનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે.

બિહારમાં વીજળી પડવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, વરસાદ દરમિયાન વ્યક્તિએ ઘરની બહાર ઓછું જવું જોઈએ અને મકાનોમાં રહેવું જોઈએ.