રીપોર્ટ@દેશ: 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સમગ્ર વિશ્વ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભારત સહિત વૈશ્વિક સ્તરે 210થી વધુ ભારતીય મિશનોની દેખરેખ હેઠળ આશરે 2500 જેટલા સ્થળો પર ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે દેશનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર આયોજિત કરાયો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો યોગપ્રેમીઓ સાથે સામૂહિક યોગાભ્યાસનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષની વિશેષ થીમ 'યોગા ફોર હેલ્ધી એજિંગ' રાખવામાં આવી છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરે છે.
પંજાબના જલંધરમાં આયોજિત યોગ શિબિરમાં ભાજપ અધ્યક્ષ નિતિન નબીન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થાનિક નાગરિકો સાથે વિવિધ આસનો કરીને સૌને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં પણ 12મા યોગ દિવસની ભારે ધૂમ જોવા મળી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી ખાતે આયોજિત વિશેષ સત્રમાં ભાગ લઈને સવારની શરૂઆત પ્રણાયામ અને આસનોથી કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વિશ્વભરના લોકોને યોગ દિવસની શુભકામનાઓ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ યોગને વૈશ્વિક સ્તરે લઈ જઈને સમગ્ર માનવતાની બહુ મોટી સેવા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં સંબોધન આપતી વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પશ્ચિમ બંગાળના લોકો દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ સફાઈ અભિયાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેને જનતાની શાનદાર પહેલ ગણાવી હતી.PM મોદીએ થીમ 'હેલ્ધી એજિંગ' નો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કર્યું કે તેને માત્ર વૃદ્ધોના નજરિયાથી ન જોવો જોઈએ. યોગ આપણને જીવનભર શરીર અને મન વિશે શીખતા રહેવાની પ્રેરણા આપે છે અને તેના ફાયદા દરેક વયજૂથના લોકોને મળે છે.
તેમણે કહ્યું કે "આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણે 20 વર્ષની ઉંમરની સરખામણીએ 40 વર્ષની ઉંમરે વધુ ફ્લેક્સિબલ હોઈએ, 30 વર્ષની સરખામણીએ 50 વર્ષની ઉંમરે વધુ એનર્જેટિક હોઈએ અને 40 વર્ષની સરખામણીએ 70 વર્ષની ઉંમરે રોગો સામે લડવામાં વધુ સક્ષમ હોઈએ."
બંગાળની પવિત્ર ધરતીને નમન: "બંગાળ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, લિહરી મહાશય અને મહર્ષિ અરવિંદ જેવા મહાન સંતોની ધરતી છે, જેમણે યોગનો સંદેશ દુનિયા સુધી પહોંચાડ્યો. મહર્ષિ અરવિંદ કહેતા કે આપણું આખું જીવન જ યોગ છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ માનતા કે મનુષ્યની સાચી ઓળખ આસપાસની દુનિયા સાથે જોડાવામાં છે. હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી આજે આખો દેશ યોગની ઊર્જાથી ચૈત્યન્યવંત બન્યો છે"

