રીપોર્ટ@દેશ: વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે શું કહ્યું? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં 2183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન તેઓએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.' સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું.
22મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.' વડાપ્રધાને કહ્યું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું. મહાદેવના આશીર્વાદથી જ આ શક્યું બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.'કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે.