રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન, જાણો વિગતે

 
નરેન્દ્ર મોદી
નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના અવષેશોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી. નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડમિક બ્લૉક છે, જેમાં 40 ક્લાસરુમ છે. અહીં કુલ 1900 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે જેમાં 300 બેઠકો છે.

આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 હજાર લોકો બેસી શકે છે. વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે. નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઈતિહાસ છે. તેની સ્થાપના લગભગ 1600 વર્ષ પહેલા પાંચમી સદીમાં થઈ હતી. અને ત્યારે નાલંદા યુનિવર્સિટી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી.