રીપોર્ટ@દેશ: આજે અયોધ્યામાં રામમંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

 
રામમંદિર
પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં કરાઈ છે, જેની પહેલી તસવીર સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે દેશભરના લોકોએ રામ મંદિરમાં જાતભાતનું દાન આપ્યું હતું, જેમાં ગુજરાતના પણ અનેક લોકો સામેલ છે. 

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, 'દાનમાં મળેલા અન્ય ઘરેણાંમાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો પણ સમાવેશ થાય છે.રામ દરબાર રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવાયો છે. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે.

રામ દરબારનું નિર્માણ રામ મંદિરમાં પહેલા માળે કરવામાં આવ્યું છે. આ મંદિરનું નકશીકામ પણ ગર્ભગૃહની જેમ કરવામાં આવ્યું છે. તેમજ જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી છે.  રામ દરબાર ઉપરાંત, મંદિરના ભોંયતળિયે બનેલા 6 મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, મા અન્નપૂર્ણાની મૂર્તિઓનો સમાવેશ થાય છે.રામલલાના અભિષેક માટે દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે, રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા માટે 350 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.