રીપોર્ટ@દેશ: કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે, ગાંધીનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

 
અમિત શાહ્
મહાત્મા મંદિર ખાતે ‘ભારત ટેક્સી સેવા’નો પ્રારંભ કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમો, સમીક્ષા બેઠકો અને જાહેર પહેલોમાં ભાગ લેશે. વિગતો મુજબ આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સહકાર આધારિત ટેક્સી સેવા સંબંધિત કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સેવા સહકારી મોડલ પર આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. ભારત ટેક્સી પહેલ અગાઉ સહકારી મોડલ હેઠળ શરૂ કરાઈ હતી અને તેમાં ડ્રાઈવર કેન્દ્રિત માળખા પર ભાર મૂકાયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યમાં વિવિધ વહીવટી, જાહેર અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન શનિવારે તેઓ ચાર અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો અને બેઠકોમાં હાજરી આપશે. દિવસની શરૂઆત સવારે 11 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરથી સહકાર આધારિત ટેક્સી સેવાના શુભારંભ સાથે થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની કામગીરી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ મુજબ સાંજે 4:45 વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં યોજાનારા લોક દરબારમાં હાજરી આપી લોકો સાથે સીધો સંવાદ કરશે. સમગ્ર પ્રવાસને વિકાસ, જનસંપર્ક અને વહીવટી સમીક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.