રિપોર્ટ@દેશ: નીટ પેપરલીક મામલે સંસદમાં હંગામો, રાહુલગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન આમને-સામને
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
18મી લોકસભાના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. સત્ર શરૂ થયા પહેલા જ પીએમ મોદીએ ગત સત્રની યાદ અપાવીને ટકોર કરી હતી કે સત્રમાં દેશ માટે લડો પોતાના પક્ષ માટે નહી. ત્યારે લોકસભામાં નીટ પેપરલીક માટે ચર્ચા થઇ હતી.જેમાં રાહુલ ગાંધીએ પરીક્ષા પ્રણાલી ગંભીર સવાલ ઉઠાવતા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આકરાપાણીએ જોવા મળ્યા હતા. તેમણે રાહુલગાંધીના આક્ષેપોનો વળતો પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે પરીક્ષા પદ્ધતિમાં ઘણી ખામીઓ છે. પરીક્ષા પ્રણાલીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દરેકની ખામીઓ ગણાવી, પરંતુ પોતાની ખામીઓ ગણાવી નહીં. રાહુલે કહ્યું કે મારો શિક્ષણ મંત્રીને પ્રશ્ન છે કે તમે આ મુદ્દાના ઉકેલ માટે શું કરી રહ્યા છો? તેમણે વધુમાં કહ્યું કે માત્ર નીટની પરીક્ષા વિશે વાત નથી થઇ રહી પરંતુ તમામ પરીક્ષાઓ વિશે વાત થઇ રહી છે. આ એક ગંભીર વિષય છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. તેઓએ કહ્યું કે શિક્ષણ મંત્રી બધાને દોષી ઠેરવી રહ્યા છે, પરંતુ પોતાને નહીં. તેમના આ નિવેદન પર શિક્ષણ મંત્રી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે કોંગ્રેસના સાંસદે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને નકામી ગણાવી તે દુર્ભાગ્યપૂર્ણ છે.
આ અંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આખી શિક્ષણવ્યવસ્થા પર સવાલ ઉઠાવવો ખોટું છે. આખી પરીક્ષા વ્યવસ્થાને બેકાર કહેવી ખોટું છે. પરીક્ષા વ્યવસ્થા પર કોઇ સવાલ ન હોવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં પેપરલીકના એક પણ પુરાવા મળ્યા નથી. સરકાર આ મામલે કંઇ છૂપાવી રહી નથી. તેમણે કહ્યું કે હા કેટલીક જગ્યાએ ગડબડી થઇ છે. પરંતુ પરીક્ષા સિસ્ટમને આખી ફેઇલ ગણાવવી તે દુર્ભાગ્યપૂર્ણ છે.