રિપોર્ટ@ગાંધીનગર: ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે, પોલીસ આવી જતા ઘર્ષણ ટળ્યું

 
વોરોધ
રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરે શહેરના સેક્ટર ૨૨ ખાતે કોંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા જોકે પોલીસે વચ્ચે ઊભા રહીને મોટા ઘર્ષણને ટાળી દીધું હતું.

રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઇ ભાજપ દ્વારા તેને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે અને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરના સમયે ગાંધીનગર મહાનગર ભાજપના કાર્યક્રમ હેઠળ પ્રમુખ,ધારાસભ્ય, મેયર સહિતના આગેવાનો અને કાર્યકરો રાહુલ ગાંધી માફી માગીના બેનરો સાથે સેક્ટર ૨૨ સ્થિત કોંગ્રેસના કાર્યાલય પહોંચી ગયા હતા અને વિરોધ કરી રહ્યા હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો પણ કચેરીમાંથી બહાર આવી ગયા હતા અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેના પગલે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

બીજી બાજુ મોટો પોલીસ કાફલો પણ અહીં ઉતરી પડયો હતો અને આ કાર્યકરોની વચ્ચે ઉભો રહી ગયો હતો. જેના પગલે બંને પક્ષો વચ્ચે મોટી માથાકૂટ થતા અટકી ગઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા મામલાને શાંત પાડી દેવામાં આવ્યો હતો અને અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.