રિપોર્ટ@ગુજરાત: બનાસકાંઠામાં 4 સહિત રાજયમાં નવી 21 GIDCનો પ્રારંભ કરવામાં આવશે

 
Gidc

ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમ ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠામાં વધુ 4 સહિત રાજયમાં નવી 21 GIDCનો પ્રારંભ કરવામાં આવશે.રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ નવી GIDCની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે.

નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે 21 પૈકી જે GIDC માં જમીન સંપાદન કરવાની બાકી છે તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછી તેમાં રોડ-રસ્તા, વીજળી, ડ્રેનેજની સુવિધા અને પ્લોટિંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે.ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસિત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના 50%, મધ્યમ વિકસિત હોય તો જંત્રીના ભાવના 25% અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નક્કી કરાયું છે. ઉદ્યોગ મંત્રી રાજપૂતના કહેવા મુજબ સરકારની પ્રોત્સાહન નીતિના કારણે સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગોને વિકસવાની તક મળી રહી છે.

રાજ્યમાં હાલ કુલ 239 જેટલી GIDC છે, જેમાં 70 હજાર કરતા વધુ રોકાણકારો છે. લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માગણી પણ સ્થાનિક ઉદ્યોગકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાઇ રહી હતી. જેમાં રાજકોટના વીંછિયા, બનાસકાંઠામાં અલીગઢ, યાવરપુર, દૂધવા અને લવાણા તેમજ મહેસાણામાં મલેકપુર, નાની ભલુ અને જોટાણ, પાટણમાં પૂનાસણ અને માનપુરા, ગાંધીનગરમાં કડજોદરા, અમરેલીમાં સામપાદર, જૂનાગઢમાં ગળોદર અને માળીયા હાટીના, ભરૂચમાં ભીમપુરા, ગીર સોમનાથમાં નવા બંદર, છોટાઉદેપુરમાં લઢોદ, ખેડામાં જેસપુરા-મીઠાપુરા અને મહુધા, આણંદમાં કહાનવાડી અને મહીસાગરમાં બાલાસિનોરનો સમાવેશ થાય છે.