રિપોર્ટ@ગુજરાત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત, જાણો સમગ્ર મામલો

 
ચૈતર વાંસાવા
લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરની બહાર આવવું પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને  ધારાસભ્ય નર્મદા જિલ્લાના તેમના ગામથી આજે (17 ડિસેમ્બર) પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા ડેડિયાપાડા તાલુકાના નવાગામે ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી.

આ સિવાય આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવાઈ હતી.સમગ્ર બાબતે પોલીસની કાર્યવાહીને લઈને ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતાં વસાવાએ કહ્યું કે, 'મારા ઘરે રાત્રે પોલીસ મૂકી ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા સાચવવાને બદલે જાણે ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, CBI અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી રાજ ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈના પાણી જેવા મુદ્દાઓને સાઇડલાઇન કરી દેવાયા છે. પોલીસ વિભાગનો દુરુપયોગ કરી જે પ્રકારે રાજ કરવામાં આવી રહ્યું છે, તેના પરથી સ્પષ્ટરૂપે કહી શકાય કે, બંધારણ અને લોકશાહી જોખમમાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરની બહાર આવવું પડશે, તો જ આ સરકારને ભાન આવશે કે, આ દેશ પર લોકોનું રાજ છે. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ભરૂચ જિલ્લામાં બે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાંથી એક ફરિયાદ ઝઘડિયાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં અને બીજી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસની મંજૂરી વિના પદયાત્રા કાઢવાની બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં, અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારમની મોતની ઘટના બની હતી. જેમાં ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતાં અને યોગ્ય વળતરની માગ કરી હતી. જેમાં પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અન્યના જીવ જોખમમાં મૂકવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.